DA

Digital Ahirat

પૂર્વ મંત્રીશ્રી વાસણભાઈ આહીરના રાજકીય જીવનના ઘડવૈયા સ્વ. અરજણભાઈ ગોપાલભાઈ છાંગાને પુણ્યતિથિ નિમિતે શ્રદ્ધાંજલિ.

પૂર્વ મંત્રીશ્રી વાસણભાઈ આહીરના રાજકીય જીવનના ઘડવૈયા સ્વ. અરજણભાઈ ગોપાલભાઈ છાંગાને પુણ્યતિથિ નિમિતે શ્રદ્ધાંજલિ.

આહીર સમાજના રાજકીય અસ્તિત્વને કચ્છમાં ઉચ્ચ સ્તરે લાવવામાં સિંહફાળો આપનાર અડીખમ આગેવાન સ્વ. અરજણભાઈ ગોપાલભાઈ છાંગાના જીવન પર એક નજર.

 

સ્વ. અરજણ બાપા એટલે અંજાર પંથકની હાઈ કોર્ટ.

દૂધના વ્યવસાય સાથે જોડાયેલા એક સામાન્ય ખેડૂતની અસામાન્ય કોઠાસૂઝને લીધે પંથકના લોકોને કોર્ટ કચેરીના દરવાજા જોવા ન પડતા.

સાચને સાચું અને ખોટાને ખોટું મોઢા પર કહેવા માટે ટેવાયેલા સ્વ. અરજણ બાપા આજીવન અન્યાયના વિરોધી રહ્યા. તેમના સમયના ફક્ત આહીર સમાજના નહીં પણ અઢારે વરણના મોટા ભાગના વિવાદિત મુદ્દાઓ અરજણ બાપાની વાડીએ સમાધાન પામતા.

પંથકમાં કોઈ જર-જમીનના વિવાદ હોય, સાટા-સગપણના પારિવારિક વિવાદ હોય કે પછી સગા ભાઈઓના આંતરિક વિવાદ હોય મોટાભાગના વિવાદોનો અંત અરજણ બાપાના ન્યાયાલયમાં થઈ જતો. 

 

અંજાર વિસ્તારના નેતાઓનું ઘડતર.

ફક્ત કચ્છ નહીં પણ સમગ્ર ગુજરાતમાં નામના મેળવનારા નેતાઓ જેમકે પૂર્વ રાજ્ય મંત્રીશ્રી વાસણભાઈ આહીર, ધારાસભ્યશ્રી ત્રીકમભાઈ છાંગા, પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ જીવા શેઠ જેવા ધરખમ નેતાઓ અને આગેવાનોના રાજકીય જીવન ઘડતરમાં સ્વ. અરજણ બાપાનો ખુબ મોટો ફાળો રહ્યો છે.

 

ગરીબોના બેલી અને ગૌ સેવામાં અગ્રેસર.

ગરીબ માણસ સાથે કોઈ પણ પ્રકારનો અન્યાય ન થાય એની ખાસ તકેદારી રાખતા તથા દુકાળનો ખરાબ વખત હોય તો પોતે નબળા લોકોને આશરો પણ આપતા. અરજણ બાપાનો રોટલો અને ઓટલો વખણાય એમ કહી શકીએ. ગામમાં ગૌશાળાના દરેક કામોમાં તેમની દેખરેખ અચુક રહેતી.

 

શિકારીઓનો શિકાર કર્યાની યાદગાર ઘટના.

રતનાલ પંથકમાં એક સમયે શિકારીઓ ખુબ ત્રાસ હતો. અમુક તત્વો રતનાલ-મોડસરની સીમમાં અબોલ જીવનો શિકાર કરી મિજબાની કરતા. એક વખત ગામલોકો અને શિકારીઓ સામ સામે આવી ગયા એકબીજા પર ફાયરિંગ થવા સુધી ઘટના બની અને શિકારીઓ ત્યાંથી ભાગી છૂટ્યા. અરજણ બાપા આ ઘટનાથી ખુબ ક્રોધિત થયા, તેમને પકડી અને રતનાલ ગામના ઝાંપે હાજર કરવા RFO તથા પોલીસ અધિકારીઓને 10 દિવસનું અલ્ટીમટમ આપ્યું. 10 દિવસની અંદર એ સમયે જેના નામની ધાક બોલતી એવા એક મોટા માથાને પકડીને રતનાલ ગ્રામજનો સમક્ષ હાજર કરાયો.

 

આવી રીતે સાદગીપૂર્ણ તથા સ્વાભિમાન અને કડકાઈ સાથે જીવનારા સ્વ. અરજણભાઈ ગોપાલભાઈ છાંગા જેવા આગેવાનો આહીર સમાજ માટે હંમેશા માટે આદર્શ બની રહેશે.

Comments

Comments load after the page becomes interactive.